ટોપ ન્યૂઝ

લોકશાહીના સર્વોચ્ચ મંદિરમાં સ્મૃતિ-સોનિયા વચ્ચે તૂતૂ-મેમે, કહ્યું- ડોન્ટ ટોક ટૂ મી

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અંગે કોંગ્રેસના સાંસદ અધીર રંજને અશોભનીય ટિપ્પણ કરતા આજે બુધવારે લોકસભામાં હોબાળો થયો હતો. જેના કારણે સંસદમાં લગભગ ચાર મિનિટ સુધી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ સામે જોરદાર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન સોનિયા ગાંધીનો ચાર વાર ઉલ્લેખ કર્યો અને દેશની માફી માગવા પણ જણાવ્યું હતું. જોકે ત્યારપછી કાર્યવાહી બપોરે ચાર વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી પરંતુ વિવાદ અહીં શાંત થયો નહોતો. સંસદમાં અંદર ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે લગભગ 3 મિનિટ સુધી શાબ્દિક વિવાદ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેના ત્રણ અલગ-અલગ પાસાઓ પર નજર કરીએ…

જાણો શાસક પક્ષે આ અંગે શું કહ્યું?
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જ્યારે શ્રીમતી સોનિયા ગાંધી આવ્યા અને ગૃહમાં અમારા વરિષ્ઠ મહિલા સાંસદ રમા દેવી સાથે વાતચીક કરવા લાગ્યા ત્યારે અન્ય સાંસદે મારી બાજુમાં આવીને મને પૂછ્યું કે આ બધુ શું થઈ રહ્યું છે? ત્યારે સોનિયાજીએ તરત જ કહ્યું કે ડોન્ટ ટોક ટૂ મી (મારી સાથે વાત ન કરો).

નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું કે સોનિયા ગાંધીએ બીજા સાંસદ સાથે લગભગ ઝાટકણી કાઢતા હોય એવા સ્વરમાં વાત કરી હતી. પહેલાં તો તેમની પાર્ટીએ રાષ્ટ્રપતિ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી અને માફી પણ ન માગી. બીજી બાજુ તેમને ગેરમાર્ગે દોર્યા અને ત્રીજું તેમણે અન્ય સાંસદોને ધમકાવતા હોય એવા સ્વરમાં વાત કરવાનું શરૂ કરી દીધું હતું.

જાણો આ મુદ્દે કોંગ્રેસે શું દાવો કર્યો?
કોંગ્રેસ સાંસદ ગીતા કોડાએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે ગૃહ સ્થગિત થયા બાદ અમે બધા બહાર જવા લાગ્યા હતા. ત્યારપછી ભાજપના તમામ સાંસદો સોનિયા ગાંધીના નામની બૂમો પાડવા લાગ્યા હતા. ત્યારે સોનિયા ગાંધી ગૃહમાં પરત ફર્યા હતા. આ દરમિયાન તેઓ મહિલા સાંસદો સાથે વાતચીત કરવા માંગતા હતા તેથી તે સાંસદ રમા દેવી પાસે ગયા હતા. સોનિયા ગાંધી જેવા ત્યાં પહોંચ્યા કે તાત્કાલિક ભાજપના સાંસદો કહેવા લાગ્યા કે તમારો માફી માગવી જોઈએ. તેઓ સોનિયા ગાંધી પર આંગળી ચીંધીને તેના વિશે વાતો કરતા હતા.

ગીતા કોડાએ વધુમાં કહ્યું કે સ્મૃતિ ઈરાની કહેતા હતા કે સોનિયા ગાંધી મારી વિરુદ્ધ ઘણું બોલે છે. ત્યાં જે રીતે તેની સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો તે જોઈને અમને લાગ્યું કે ટુંક સમયમાં જ અમારા પર હુમલો થશે. ત્યારપછી અમે વચ્ચે દખલ કરી સોનિયાજીને ત્યાંથી બહાર કાઢ્યા. આ દરમિયાન સોનિયા ગાંધી પણ કંઈ બોલી શક્યા નહોતા. સોનિયા ગાંધી પર જેવી રીતે પુરૂષ સાંસદોએ ગેરવર્તણૂક કરી ટિપ્પણીઓ કરી એ અશોભનિય વર્તન હતું. લોકશાહીના મંદિરમાં મહિલા સાંસદ સાથે આવું વર્તન કરવું યોગ્ય છે?

મીડિયા રિપોર્ટ્સમાં શું દાવો કરવામાં આવી રહ્યો છે?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણએ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૃહ સ્થગિત થયા પછી સોનિયા ગાંધીએ સત્તાધારી પક્ષની બેંચ તરફ જવાનું શરૂ કર્યું હતું. તેઓ ભાજરના સાંસદ રમા દેવી તરફ ગયા અને તેમને પૂછ્યું કે જ્યારે અમારા નેતા અધીર રંજન ચૌધરીએ માફી માંગી છે તો મારું નામ કેમ લેવામાં આવી રહ્યું છે? ત્યારે સ્મૃતિ ઈરાની તાત્કાલિક પાસે આવીને કહેવા લાગ્યા કે, ‘મૅમ, શું હું તમારી મદદ કરી શકું છું? મેં જ તમારું નામ લીધું છે.” આના પર સોનિયાએ સ્મૃતિને કહ્યું “ડોન્ટ ટોક ટૂ મી. બસ ત્યારપછી તૃણમૂલ કોંગ્રેસના સાંસદો અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલે સોનિયા ગાંધીને દૂર લઈ ગયા હતા. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ પણ મામલો શાંત પાડવાના પ્રયાસ કર્યો હતો.

શું છે સમગ્ર વિવાદ..
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂને ‘રાષ્ટ્રપત્ની’ બોલી દેતા હોબાળો થયો છે. આ મુદ્દે ભાજપે કોંગ્રેસ અને અધીર રંજન પર જોરદાર નિશાન સાધ્યું છે અને વિરોધ શરૂ કરી દીધો છે. એટલું જ નહીં સ્મૃતિ ઈરાનીએ તો સ્પષ્ટપણે કહી દીધું કે કોંગ્રેસ આદિવાસી અને ગરીબો વિરૂદ્ધની સરકાર છે. તેમણે આ મુદ્દે સોનિયા ગાંધીને માફી માગવાનું જણાવ્યું છે.

Leave feedback about this

  • Rating