આપણુ ગુજરાત

સુભાષબ્રિજથી સાબરમતી સુધી મેટ્રોનું ટ્રાયલ રન, અમદાવાદીઓને ઓગસ્ટ સુધીમાં મળી જશે ખુશખબર!

વિધાનસભાની ચૂંટણી આવતા પહેલા અમદાવાદમાં મેટ્રો ટ્રેનને દોડતી કરવા હાલ પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે આજે સુભાષબ્રિજથી સાબરમતી સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. બીજી તરફ ફેઝ-1 અંતર્ગત વસ્ત્રાલથી થલતેજ સુધીના રૂટ પર ઓગસ્ટ સુધીમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

તાજેતરમાં જ થલતેજથી કાંકરિયા સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. જેમાં સાબરમતી નદી પરથી પસાર થતી મેટ્રો ટ્રેનનો વીડિયો પણ વાઈરલ થયો હતો. જેને જોઈને લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. એવામાં આગામી ટૂંક સમયમાં થલતેજથી વસ્ત્રાલ સુધીના રૂટ પર મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી શકે છે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2માં કુલ 5300 કરોડથી વધુનું ખર્ચ થવાનો છે. જેમાં કોરિડોર-1ની લંબાઈ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીની હશે. જે 22.8 કિલોમીટર થાય છે. આગામી ભવિષ્યમાં આ કોરિડોરને અમદાવાદ એરપોર્ટ સાથે પણ જોડવાનું પ્લાનિંગ છે.

અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટર લાંબો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનો હશે. ઉત્તર અને દક્ષિણ કોરિડોરમાં વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીમાં 15 સ્ટેશન આવશે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે.

Leave feedback about this

  • Rating