આપણુ ગુજરાત ટોપ ન્યૂઝ

લઠ્ઠાકાંડ એ ભ્રષ્ટરાજનેતાઓ અને અધિકારીઓ દ્વારા કરાયેલો હત્યાકાંડ છે

અમદાવાદ : ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડમાં ગુજરાતનાં 3 જિલ્લાઓમાં અસર થઇ છે. બોટાદ, ભાવનગર અને અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડને પગલે સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ આ ઘટનાની ટીકા થઈ રહી છે કારણ કે સમગ્ર ઘટનાના કારણે 36 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

સમગ્ર ઘટનાને લઈને રાજ્ય સરકાર પણ હરકતમાં આવી અને પોલીસ વિભાગની ટીમ દ્વારા લઠ્ઠાકાંડ કેસને ગણતરીના કલાકોમાં જ ઉકેલી પણ દેવામાં આવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા 14 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી લેવાઇ આવી છે અને બાકી બચેલા કેમિકલના જથ્થાને પણ પોલીસે જપ્ત કર્યો છે. સમગ્ર ઘટનાક્રમને લઈને SITની રચના કરાઇ છે. SITની ટીમ પણ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી રહી છે.

સમગ્ર બાબતને લઈને વિપક્ષ દ્વારા રાજ્ય સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ વારંવાર ગુજરાતમાં દારૂ મળી રહ્યો છે. લઠ્ઠાકાંડના કારણે જે લોકોના મૃત્યુ થયા છે તેની પાછળ સરકાર જ જવાબદાર છે તેવો આરોપ પણ વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. સમગ્ર બાબતને લઈને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી આજે બરવાળા ખાતે પણ પહોંચ્યા હતા અને તેઓએ મૃતકોના પરિજનો સાથે મુલાકાત કરીને તેઓને સાંત્વના પણ પાઠવી હતી. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિજનોને દસ લાખની સહાય આપવામાં આવે તેવી માંગણી પણ જીગ્નેશ મેવાણીએ કરી છે.

આ સમગ્ર કેસ મુદ્દે જીગ્નેશ મેવાણીએ સરકાર અને અધિકારીઓ પર આરોપ લગાવ્યા હતા. મેવાણીએ કહ્યું કે, નેતાઓ અને ટોચના અધિકારીઓની મિલીભગતના કારણે જ આ ઘટના બની છે. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ મળી રહ્યો છે. બરવાળા સહિતના વિસ્તારોમાં કેમિકલ દારૂના કારણે જે લોકોના મોત થયા છે તેની પાછળ હપ્તાખોર અધિકારીઓ જવાબદાર છે. ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરીને દાખલો બેસે તેવી કાર્યવાહી સરકારે કરવી જોઇએ. SITની રચના બાબતે જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, ભૂતકાળમાં પણ આવી ઘણી એસઆઇટીની રચનાઓ થઈ છે. જો કે હજુ સુધી ઘણા બધા કેસમાં એસ.આઇ.ટી ની ટીમ સફળ થઇ નથી. સમગ્ર કેસમાં અમરેલીના પૂર્વ એસપી નિર્લિપ્ત રાય જેવા ઈમાનદાર અધિકારીને આ સમગ્ર લઠ્ઠાકાળની તપાસ સોંપાવી જોઇએ. આ ઉપરાંત આ મુદ્દે રાજ્ય વ્યાપી આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Leave feedback about this

  • Rating