આપણુ ગુજરાત ટોપ ન્યૂઝ

લઠ્ઠાકાંડ: હપ્તાના હરાયા થયેલા અધિકારીઓને જોઇએ તેટલા પૈસા આપીએ, અમારા આત્મજ પાછા લાવી આપો

બોટાદ : જિલ્લાના બરવાળા નજીક આવેલા રોજિદ ગામમાં લઠ્ઠો પી જવાનાં કારણે 29 થી વધારે લોકોનાં મોત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી પર ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે. લોકો સરકાર અને પોલીસ તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. અનેક લોકો હજી પણ જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહ્યા છે. જો કે એક જ ગામમાંથી 5 અર્થી ઉઠતા ગામમાં ગમગીનીનો માહોલ છે. આ દ્રશ્યો જોઇને કોઇ પથ્થરદિલ માણસ પણ પીગળી જાય ત્યારે નિંભર તંત્રને કાંઇ નહી થતું હોય? અધિકારીઓને એવા તે કેવા પૈસા વાલા લાગી રહ્યા છે કે, લોકોનાં જીવ ત્રાજવે તોળીને કિલોના ભાવે વેચવા માટે તૈયાર થઇ રહ્યા છે. ભણેલા ગણેલા દાનવો પેદા થઇ રહ્યા છે?

લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા પ્રદીપભાઇને સંતાનમાં 2 દિકરી હતી. પ્રદીપભાઇ પરિવારનું ગુજરાન છુટક મજૂરી કરીને ચલાવતા હતા. જો કે હવે તેમના મોતના કારણે ન માત્ર પરિવાર નોધારો થયો છે પરંતુ 3 વર્ષ અને 5 વર્ષની પુત્રી નોધારી બની છે. જો કે તેમનાં ઘરમાં શું થયું છે તે સમજવા હજી આ બાળકીઓ સમર્થ નથી. તેઓ તો આ રોકકળ જોઇને ન માત્ર ગભરાઇ ઉઠી છે પરંતુ પપ્પાની રાહ જુએ છે કે તેઓ આવે તો તેમના ખોળામાં માથુ નાખીને સુઇ શકે.

25 વર્ષના યુવાન દિપકભાઇનું પણ આ કાંડમાં મોત નિપજ્યું છે. આ યુવાનનો પરિવાર હૈયાફાટ રૂદન કરી રહ્યો છે. યુવાનની બહેન હરખથી રક્ષાબંધનની તૈયારીઓ કરી રહી હતી ત્યારે આ સમાચારથી તેના માથે આભ તુટી પડ્યું છે. તે સરકારને સવાલો પુછી રહી છે કે, હું હવે કોને રાખડી બાંધીશ,ક્યાં હું મારા ભાઇને મળી શકીશ? તેમના પત્નીનો બેશુદ્ધ સ્થિતિમાં જ છે.

જો કે દરેક પરિવારની એક વ્યથા તો હતી જ કે પરિવારનો મોભ તો ગુમાવ્યો પરંતુ તેઓએ અનેકવાર આ મૃતકોને દારૂ છોડવા માટે સમજાવ્યા હતા. દારૂના કારણે તેમના પરિવારમાં અનેકવાર કંકાસ પણ થતા હતા. ત્યાર બાદ યુવાનો છોડી પણ દેતા હતા. જો કે મિત્રો દારૂડિયા હોવા ઉપરાંત તે ખુબ જ સરળતાથી મળી પણ જતો હોવાનાં કારણે તેઓ ફરી દારૂનુ વ્યસન શરૂ કરી દેતા હતા. હાલ તો અનેક પરિવારો એવા છે કે જે નોધારા થઇ ગયા છે.

Leave feedback about this

  • Rating