આપણુ ગુજરાત

મોડાસામાં નદીમાંથી નીકળી અંતિમયાત્રા, ગ્રામજનોએ માનવસાંકળ બનાવી ચિતા માટે લાકડા ભેગા કર્યા

ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે અરવલ્લીના મોડાસામાંથી વરવી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે. આઝાદીના 75 વર્ષો બાદ પણ હજુ કેટલાય એવા ગામડાઓ છે જ્યાં પાયાની સુવિધાઓ પણ નથી મળી. મોડાસાના મુલોજ ગામમાં એક આધેડના મોત બાદ અંતિમ ક્રિયા માટે પરિવારજનોને જીવના જોખમે નદીમાં ઉતરી મૃતદેહને સ્મશાને લઈ જવા મજબૂર બન્યા. આ ઘટનાનો વીડિયો હાલ સામે આવ્યો છે.

મોડાસાના મુલોજ ગામમાં એક આધેડનું મૃત્યુ થતા સ્વજનોએ માઝૂમ નદીમાં વહેતા કેડ સમા પાણીમાં ઉતરીને અંતિમક્રિયા માટે મૃતદેહને લઈ જવો પડ્યો હતો. આટલું જ નહીં મૃતદેહની અંતિમક્રિયા માટે લાકડા પણ નદીમાં માનવ સાંકળ બાંધીને લઈ જવા પડ્યા હતા. જે ગતિશીલ ગુજરાતની વરસી વાસ્તવિકતાને દર્શાવે છે. નદી પર પુલ ન હોવાના કારણે દર ચોમાસે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે બીજી તરફ બાળકોને અભ્યાસમાં પણ આ કારણે તકલીફ પડે છે, જોકે આઝાદીના 75 વર્ષો થવા છતાં પણ ગામના લોકો હજુ પણ પાયાની સુવિધાથી વંચિત છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં અગાઉ પણ આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. 1 વર્ષ અગાઉ પણ ડાંગમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી. જેમાં ડાંગના ભવાનદગડ ગ્રામપંચાયતમાં ખાપરી ગામે એક વ્યક્તિના મૃત્યુ બાદ સ્વજનોને ખભા સમા પાણીમાં ઉતરીને અંતિમયાત્રા નીકાળવી પડી હતી.

Leave feedback about this

  • Rating