રાજનીતિ

વિપુલ ચૌધરીનો બફાટ: ગુજરાતમાં ગુણવત્તાયુક્ત દારૂ મળવો જોઈએ

દેશ ભરમાં બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડના પડઘા પડ્યા છે. બોટાદના બરવાળામાં ઝેરી દારૂ પીવાથી 40થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ 90થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ વચ્ચે રાજકારણમાં ફરીથી સક્રિય થયેલા પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ દારૂબંધી પર એક વિવાદિત નિવેદન આપ્યું છે.

બોટાકમાં થયેલા લઠ્ઠાકાંડ પર વાત કરતા વિપુલ ચૌધરીએ કહ્યું કે, ગુણવત્તા એ વિષય છે. ખોટા કાયદાઓ કરવાથી શું થઈ શકવાનું છે. તેના કરતા ગુણવત્તાવાળું આ દેશમાં વેચાય અથવા રાજમાં. તેમને મુશ્કેલી હોય તો અમારી એજન્સી આપી દઈએ, અમારા ડિસ્ટ્રીબ્યૂટર બનાવી દઈએ. પરંતુ ગુણવત્તાવાળું વેચાય એ મહત્વપૂર્ણ છે. દારૂની જગ્યાએ દૂધ વેચાય એવા પ્રયત્નો થવા જોઈએ. જોકે રાજ્યમાંથી દારૂબંધી ઉઠાવવી જોઈએ તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું, ગુણવત્તા વધારે મહત્વની છે. સહકારી ક્ષેત્રમાં દૂધ સારું મળતું હોય તો જરૂરિયાત હોય તો આપણે એજન્સી આપીને એ બધાને રોજગારી પણ આપવી જોઈએ.

નોંધનીય છે કે, બોટાદમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મોત મામલે દેશભરમાં દારૂબંધીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજી તરફ આ મામલે અત્યાર સુધીમાં 21 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સરકાર દ્વારા આ મામલે તપાસ માટે SITની રચના પણ કરવામાં છે.

Leave feedback about this

  • Rating